નવરાત્રિના પાવનપર્વે સુરતવાસીઓને રૂ. ૨૦૧.૮૬ કરોડના વિકાસકામોની ભેટ આપતી રાજય સરકાર.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂા.૨૦૧.૮૬ કરોડના શ્રેણીબદ્વ વિકાસકામોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરી, કોરોના સંક્રમણમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અવિરત રહી છે તેવી વિભાવના વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વિકાસની પ્રતિબદ્વતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા મહિનાઓ દરમિયાન ગુજરાતમાં ૧૨ હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તો સાથે કોરોના સંક્રમણનો વ્યાપ રોકવા સાથે વિકાસની રાહ પર અગ્રેસર રહયું છે. ગુજરાતનો રિકવરી રેટ ૯૦ ટકા તથા મૃત્યૃદર ઘટીને ૨.૨૫ ટકા જેટલો થયો છે. કોરોના હારશે અને ગુજરાત જીતશેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ.
નર્મદ નગરી સુરત સોનાની મૂરત બને તેવી સંકલ્પને સાકાર કરવા સૂરત મહાનગરપાલિકાને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતે બીજા ક્રમે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. વડાપ્રધાનશ્રીની દુનિયાના આધુનિક શહેરોની સાથે સ્પર્ધા કરે તેવી કલ્પનાને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂરતમાં જનસહયોગની અપેક્ષા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શહેરો માળખાકીય સુવિધા સાથે પર્યાવરણની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે કડક કાયદાઓમાં સુધારાઓ કર્યા છે. ‘ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે’ તેવા સુત્ર સાથે સરકારે પોલીસને કડક હાથે કામ લેવાના આદેશો આપ્યા છે.
આગામી સમયમાં મેટ્રો ટ્રેન, રિવરફ્રન્ટ, તાપી શુદ્ધિકરણ, ડ્રીમસિટી જેવા સુરતના મહત્વના પ્રોજેકટોને આગળ વધારવા માટે સરકાર યુદ્ધના ધોરણે કાર્ય કરી રહી છે. સુરત શહેર ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ બની રહે તે દિશામાં આગળ વધવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
ગાંધીનગર ખાતેથી ઓનલાઈન જોડાયેલા સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, સુરત શહેર સિંગાપોર બને તે દિશા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશની મહાનગરપાલિકાઓની સરખામણીએ સુરત સ્માર્ટ સિટીની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. તેમણે રાજ્ય સરકારને સુરતના વિકાસમાં સહયોગ બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.
સુરત ખાતે જોડાયેલા સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સૂરત કોરોનાની સામેની લડાઈની સાથે વિકાસની રાજનીતિમાં પણ આગળ વધી રહ્યું છે. મેટ્રોસિટી, ગાર્ડન સિટી, ટેરેસ અને મોઝેક ગાર્ડન જેવા નવા પ્રકલ્પો સાથે સુરતે વિકાસની ગતિ તેજ રાખી હોવાનું જણાવ્યું હતું.
આ અવસરે મેયરશ્રી જગદીશભાઈ પટેલે કોરોના કાળની વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક લોકહિતના કાર્યોની ગતિ અટકે નહી તે રીતે સૂરતની વિકાસયાત્રા આગળને આગળ ધપતી રહેશે તેવી ખાત્રી આપી હતી.
વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કુંભારીયાથી કડોદરા સુધીના સાત કિ.મી.ના બી.આર.ટી.એસ.ના લોકાર્પણની સાથે સમગ્ર શહેરમાં ૧૦૮ કિ.મી.જેટલા બી.આર.ટી.એસ.નું નિર્માણ થયું છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો બી.આર.ટી.એસ બન્યો છે. જેના કારણે સુરતથી કડોદરા વિસ્તારના શ્રમિકો, મુસાફરોને સલામત અને ઝડપી પરિવહનની બહેતર સુવિધાઓ પ્રાપ્ત થશે. અણુવ્રત દ્વાર જંકશનથી જમનાબા પાર્ક સુધીના ત્રણ કિ.મી. સુધીના કેનાલ કોરિડોર જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના માર્ગનું નિર્માણ થયું છે.
ઈ-લોકાર્પણના અવસરે સુરત શહેરના ૧૧ જેટલા સ્થળોએ તથા પાલિકાના સ્મેક સેન્ટર ખાતે ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, ડે.મેયરશ્રી નિરવ શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસકપક્ષના નેતાશ્રી ગિરજાશંકર મિશ્રા, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, અગ્રણી નિતિનભાઈ ભજીયાવાલા, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *