સુરતમાં કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાલિકા અને જિલ્લા પંચાત દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે શહેરમાં 176 અને જિલ્લામાં 51 મળીને કુલ 227 નવા કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 16,037 થયો છે. જ્યારે શહેરના 191 અને જિલ્લાના 44 મળીને 235 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેથી કુલ 12,118 લોકોએ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે.જેમાંથી જિલ્લાના 2520 લોકોનો પણ સમાવેશ થાય છે.
આજે પાલિકાના બે કર્મચારીઓના મોત નીપજ્યાં છે. વીબીડીસી વિભાગના ક્લાર્ક અનિલ પરમાર અને સેનેટરી ઈન્સ્પેક્ટર નીતિન મોદી કોરોના સામે જંગ હાર્યા છે. આજે કુલ 8 મોત સાથે મૃત્યુઆંક 695 થયો છે. જેમાં શહેરના 549 અને જિલ્લાના 146 હતભાગીઓનો સમાવેશ થાય છે. હાલ શહેરની અલગ અલગ હોસ્પિટલ સહિત કુલ 3223 લોકો સારવાર હેઠળ છે.