જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ર૩ર બેડની કોવિડ હોસ્પિટલનું ઈ લોકાપર્ણ.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતીની આપત્તિને અવસરમાં પલટાવી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સંગીન-સુદ્રઢ બને તેવી વ્યવસ્થાઓ હોસ્પિટલોમાં રાજ્ય સરકાર ઊભી કરી રહી છે.

        આ સંદર્ભમાં તેમણે જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલે ર૩ર બેડની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ સહિત કેન્સરની સારવાર માટેના અત્યાધુનિક મશીન, એકસ-રે મશીન, પ્લાઝમા બેન્કથી જે સફળ પ્રયત્ન કર્યો છે તેની સરાહના કરી હતી.

        મુખ્યમંત્રીશ્રીએે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરકુમાર કાનાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં આ નવિન પ્રકલ્પોના લોકાર્પણ કર્યા હતા.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રકલ્પો અન્વયે રર ICU અને ર૧૦ ઓકસીજનટેડ બેડ સાથે ર૩ર પથારીની કોવિડ હોસ્પિટલ, રૂ. ર૬ કરોડના ખર્ચે વસાવાયેલા લિનીયર એકસીલરેટર મશીન તેમજ સિટી સેમ્યુલેટર તેમજ રૂ. ૧ કરોડના ખર્ચે વસાવાયેલું અદ્યતન એકસરે મશીન અને રાજ્યની દ્વિતીય ક્રમની પ્લાઝમા બેંકના લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

        મુખ્યમંત્રીશ્રીએ આ નવિન સુવિધાઓ ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના છેવાડાના ગ્રામીણ વિસ્તારના માનવીઓને આધુનિક સારવાર આપવામાં ઉપયોગી બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

        તેમણે કહ્યું કે સામાન્યત: કેન્સર જેવા રોગોની સારવાર માટે દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલોમાં થાય પરંતુ રાજ્ય સરકાર સૌના આરોગ્ય સુખાકારીની સતત ચિંતા રાખીને આવી આધુનિક સારવાર વિનામૂલ્યે આપે છે.

        મુખ્યમંત્રીશ્રીએ જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલ સહિત રાજ્યમાં મોટી-અદ્યતન હોસ્પિટલો હવે મેડીસિટી તરીકે વિકસીત થઇ રહી છે તેની ભૂમિકા આપી હતી.        તેમણે ઉમેર્યુ કે, આવી મોટી હોસ્પિટલોમાં અદ્યતન સારવાર સુવિધા તો મળે જ છે સાથોસાથ મેડીકલ કોલેજ, રેસીડેન્ટ ડૉકટર્સની હોસ્ટેલ, પી.જી. હોસ્ટેલ, આવાસ વગેરે સુવિધાઓ એક જ સંકુલમાં મળતી થઇ રહી છે.        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, કેન્સર જેવા ગંભીર રોગની સારવારમાં પ્રિવેન્ટીવ કેર અને પોસ્ટ ઓપરેટીવ કેર બેય પ્રત્યે વિશેષ કાળજી રાખીને રાજ્ય સરકાર શ્રેષ્ઠ સારવાર આપી કેન્સરગ્રસ્તોને પૂન: સાજા કરી રહી છે.

        નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે સૌરાષ્ટ્ર-જામનગરની આ જૂનામાં જૂની હોસ્પિટલમાં રોજના હજારો દરદીઓ સારવાર-દવા માટે આવે છે ત્યારે સુવિધાઓ-સારવાર પદ્ધતિઓ વિકસાવતા જઇને અદ્યતન હોસ્પિટલ બની છે તેની પ્રસંશા કરી હતી.

        તેમણે ર૩ર બેડની કોવિડ હોસ્પિટલથી હવે કોરોના સંક્રમિતોની વધુ સઘન અને સારી સારવાર થઇ શકશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં જણાવ્યું કે, આ હોસ્પિટલ કોરોના પછીની સ્થિતીમાં પણ અન્ય રોગોની સારવાર-સુશ્રુષા માટે યથાવત કાર્યરત રાખવામાં આવશે.        નાયબ મુખ્યમંત્રીશ્રીએ કેન્સરના રોગની સારવાર માટે અમદાવાદની રાજ્યકક્ષાની હોસ્પિટલ પરનું કેસનું ભારણ ઓછું કરવા રિજીયોનલ હોસ્પિટલ તરીકે જામનગર, ભાવનગર, રાજકોટ અને વડોદરામાં અદ્યતન સારવાર શરૂ કરવાના રાજ્ય સરકારના અભિગમનું પ્રથમ ચરણ જામનગરની આ કેન્સર હોસ્પિટલમાં અદ્યતન સાધન-સુવિધા કાર્યરત થતાં પૂર્ણ થયું છે તે માટે આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

        આ લોકાર્પણ અવસરે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, અગ્ર સચિવ શ્રીમતી જ્યંતિ રવિ સહિતના સચિવો ગાંધીનગરથી જોડાયા હતા.

        જામનગરના મેયર શ્રી હસમુખભાઇ, શહેર પ્રમુખ શ્રી હસમખુભાઇ હિંડોચા, જિલ્લા તથા શહેરના પદાધિકારીઓ, કલેકટર, કમિશનર તેમજ વરિષ્ઠ તબીબો, આરોગ્ય કર્મીઓ જામનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *