કોર્ટ અને જજની અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સીનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણને સજા સંભળાવી છે. વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે 1 રૂપિયાનો દંડ કર્યો, દંડ નહીં ભરે તો 3 મહિનાની જેલ અને 3 વર્ષ માટે પ્રેક્ટિસ અટકાવી દેવાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બોલવાની આઝાદીને દબાવી ન શકાય, પણ બીજાના અધિકારનું સન્માન કરવું પણ જરૂરી છે.
25 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માફી માગવામાં ખોટું શું છે. પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટની માફી નહીં માગવાની વાત પર અડગ રહ્યા હતા. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટને અપીલ કરી હતી કે પ્રશાંત ભૂષણને ચેતવણી આપીને છોડી દેવામાં આવે. ત્યાંજ પ્રશાંત ભૂષણના વકીલ રાજીવ ધવને જણાવ્યું હતું કે, તેમણે કોઈ મર્ડર કે ચોરી કરી નથી તેથી તેમને શહીદ બનાવવામાં આવે નહીં.
સુપ્રીમ કોર્ટે 14 ઓગસ્ટના રોજ પ્રશાંત ભૂષણને કોર્ટની વિરુદ્ધ બે અપમાનજક ટ્વીટ માટે અવમાનના દોષિ જાહેર કર્યા હતા. રાજીવ ધવને જણાવ્યું હતું કે, કોર્ટે પોતાના 14 ઓગસ્ટના ચુકાદાને પરત ખેંચી લેવો જોઈએ અને તેમને કોઈ સજા આપવી જોઈએ નહીં. તેમણે અપીલ કરી હતી કે આ કેસને બંધ કરી દેવો જોઈએ અને વિવાદને અંત લાવી દેવો જોઈએ.