ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ ઔદ્યોગિક વિસ્તારોમાં દિવસ અને રાત્રિના સમયે પેટ્રોલીંગ સખત કરવાની ભારપૂર્વક રજૂઆત કરી .
હાલમાં માર્ચ મહિના પછી ઉદ્દભવેલ કોવીડ-૧૯ની પરિસ્થિતિના કારણે ભારત સરકારે જે તે સમયે દેશમાં લોકડાઉન કરેલ પરંતુ વેપાર ઉદ્યોગ ધમધમતો રહે તે માટે જરૂરી નિયમોના આધિન વેપાર ઉદ્યોગને શરૂ રાખવા માટે છૂટછાટ આપવામાં આવેલ છે. આ છૂટછાટ પછી કોવીડ-૧૯ની પરિસ્થિતિના કારણે ૩૦% ઇન્ડસ્ટ્રી શરૂ થઇ શકેલ છે. ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં લૂંટના બનાવો વધી ગયેલ છે અને વધવાની શક્યતા પણ વધી છે. શહેરનું વાતાવરણ ન ડહોળાય અને વેપાર ઉદ્યોગને વધુ પડતું નુકસાન ન થાય તે માટે સુરતમાં આવેલ તમામ ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં દિવસ અને રાતનું પેટ્રોલીંગ વધુ સખત બનાવવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત તેમણે કરી હતી.
સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં કાર્યરત ઓર્ગેનાઈઝ ગેંગ કે જેઓ દલાલોને સાથે રાખીને મોટે પાયે ફેબ્રિક ટ્રેડર્સ અને વિવર્સ સાથે ચીટીંગ કરે છે એ ગેંગનું નેક્સસ (Nexus) તોડવા માટેની તાત્કાલિક જરૂરિયાત ઉપર તેમણે ભાર મૂક્યો હતો. તે ઉપરાંત મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જ્યાં હીરા ઉદ્યોગ ધમધમતો છે ત્યાં પણ ઓર્ગેનાઈઝ ગેંગ દલાલોના મેળાપીપણામાં સાથે મળીને પાર્ટીઓના વ્યવસ્થિત ઉઠમણાં કરાવે છે અને ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય ત્યારે ચીટર ગેંગ તરફથી તેમના કુટુંબના મહિલા સભ્યો તરફથી ખોટી ફરિયાદ જેની સાથે ચીટીંગ થયું છે તેના વિરુદ્ધ કરવામાં આવીને ફરિયાદીને આરોપી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવા હીરા ઉદ્યોગના કેસોમાં સુરત ડાયમંડ એસોસીએશન અને ટેકસટાઇલ ઉદ્યોગના કેસોમાં ફોગવા – ફોસ્ટા જેવી સંસ્થાઓને સાથે રાખીને ફરિયાદી કેસની મેરીટ ચકાસીને પોલીસ તપાસ આગળ વધારવી જોઈએ તેવી માંગણી કરી હતી.