અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ કરોડરજ્જુની “પોસ્ટ લેમિનક્ટોમી સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી” બીમારીથી પીડાતી ૧૨ વર્ષની સલોની પર સફળ સર્જરી કરી છે. પીઠના ભાગે ૯૫ ડિગ્રી અંશે ખુંધ થઈ જતાં તેના કરોડરજ્જુ પર દબાણ સર્જાતાં તે છેલ્લા છ મહિનાથી પથારીવશ હતી. સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે બાળકી પર સફળ સર્જરી કરીને નવજીવન આપ્યું છે.
સલોની ના પિતાએ જણાવ્યું કે, “દસ દિવસ પહેલાં જ્યારે હું મારી દિકરીને લઈને સિવિલમાં આવ્યો ત્યારે મને આશા નહોતી કે આટલી ઝડપથી સાજી થઈ જશે. સફળ સર્જરી કરવા માટે હું સિવિલના તબીબો અને અન્ય મેડીકલ સ્ટાફનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તદ્દન નજીવા ખર્ચે ઓપરેશન કરવામાં આવ્યું છે”.