મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા ખાતે ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું.

 વ્રજધામ-વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે વડોદરા શહેરની ચાર વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને સત્વરે ઓકસીજન ઉપલબ્ધ બનાવવા ચાર ઓકિસજન પ્લાન્ટનો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એ ગાંધીનગરથી ઈ-પ્રારંભ  કરાવ્યો હતો.આ પ્રસંગે વડોદરાથી પૂજય શ્રી  વ્રજરાજકુમારજી તેમજ દાતાશ્રીઓ,તબીબો  સહિત પૂજ્ય સંતગણો-ભક્ત ઇ-માધ્યમથી જોડાયા હતા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર  ના સાચી દિશા અને સાચી નિયત ના ઉપાયો તેમજ સેવા સંગઠનો તથા લોક સહયોગથી કોરોનાની બીજી લહેરને મહાત આપવાનો વિશ્વાસ દર્શાવતા જણાવ્યું  કે, ગુજરાતને કોરોનાની આ બીજી લહેરમાંથી  ઝડપથી બહાર આવનારુ પ્રથમ રાજ્ય  બનાવશું. 
છેલ્લા 2 મહિનાથી રાજ્ય સરકાર સાચી દિશા અને નિયતથી કોરોના નિયંત્રણની કામગીરી કરી રહી છે જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે અને  એપ્રિલ મહિના માં જે કેસો વધ્યા હતા તે સામે હવે પરિસ્થિતિ નિયંત્રણ તરફ જઇ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28  કરોડના ખર્ચે વડોદરા ની ચાર હોસિપ્ટલો માટે નિર્મિત ચાર નવા ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગર થી ઇ-લોકાર્પણ કરતી વખતે કહ્યું કે, ગુજરાતની હોસ્પિટલોમાં ઓક્સીજનનો સતત અવિરત અસ્ખલિત પુરવઠો આપી રહ્યા છીએ. 
ઓકસીજન ના અભાવે રાજ્યમાં ક્યાંય કોઈ ને જીવ ગુમાવવો પડે નહિ તેવી સ્થિતિ ઊભી કરી છે.
સરકાર માર્ચ મહિનાથી જ કોરોનાની બીજી લહેર સામે લડવા કામે લાગી ગઈ હતી. બે મહિનામાં હોસ્પિટલમાં એક લાખ  બેડ,1100 ટન ઓક્સિજન સપ્લાય, 7 લાખ  રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય આવશ્યક દવાઓની આપૂર્તિ માટે સરકારના પરિણામલક્ષી પ્રયત્નો ફળીભૂત થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે  સજજતા ની પણ રાજ્ય સરકાર પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. 
આવતીકાલે સોમવારે રાજ્યના ટાસ્ક ફોર્સના તબીબો  વૈજ્ઞાનિકો બાયોટેકનોલોજી ના તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ સાથે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકનું તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, કપરા કાળમાં ગુજરાતની અનેક સામાજીક ધાર્મિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીજનોએ આગળ આવી સરકાર સાથે ખભે ખભા મિલાવી કામ કર્યું છે. વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશને ગુજરાતમાં 18 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાનો સંકલ્પ કરી જનસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્યો માટે પ્રેરણા રૂપ બન્યા છે. 
તેમણે ઉમેર્યું કે, કોરોના જેવી મહામારી સદીમાં એક વાર આવતી હોય છે  રાજ્ય સરકારે છેલ્લા બે મહિનાથી બધા જ સંસાધનો કોરોના સામે લડવાની  એક જ દિશામાં કેંદ્રિત કર્યા છે.
. આવી કપરી સ્થિતિમાં હતાશ- નિરાશ થયા વગર સૌ સંગઠિત થઈ સામૂહિક લડાઈ લડે ત્યારે વિજયની શક્યતા વધી જતી હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પિત અને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 1.28  કરોડના ખર્ચે નિર્મિત ચાર ઓક્સિજન પ્લાન્ટ એસ.એસ.જી. હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, વ્રજધામ કોવિડ સેન્ટર અને નરહરિ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે

આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ના પ્રણેતા  વ્રજરાજકુમારજી ગોસ્વામીએ કહ્યું કે, શ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકાર જનતાની સુરક્ષા માટે દિન રાત જહેમત ઉઠાવી રહી છે અને  વહીવટીતંત્ર પણ પૂરી સંવેદનશીલતા સાથે કામ કરી રહ્યું છે.
વ્રજરાજકુમારજી ગોસ્વામીએ શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યાના પ્રસંગનો ઉલ્લેખ કરી કહ્યું કે, જેમ વ્રજ ભક્તો-ગોવાળોએ અતિવૃષ્ટિની આપદામાં શ્રીકૃષ્ણને લાકડી વડે ટેકો આપ્યો તેમ સમાજના શ્રેષ્ઠીઓ સેવાભાવી સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ આ મહા આપદામાં સાથે મળી સરકારી તંત્રને ટીકો આપે તે સમયની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *