- આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીમંડળે નીચેની બાબતોને મંજૂરી આપી છેઃ
- રાજ્યોમાં અધ્યાપન-અધ્યયન તથા પરિણામોને સંગીન બનાવવા (STARS – સ્ટ્રેંગ્ધનિંગ ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ) પ્રોજેક્ટનો અમલ કરવો. આ પ્રોજેક્ટ માટે મંત્રીમંડળે રૂ. 5718 કરોડના ખર્ચની મંજૂરી આપી છે, જે માટે વિશ્વ બેંક 500 મિલિયન અમેરિકન ડોલર (અંદાજે રૂ. 3700 કરોડ)ની નાણાકીય મદદ કરશે.
- STARS પ્રોજેક્ટનો અમલ નવી કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના તરીકે શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગનાં નેજા હેઠળ થશે
- શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અંતર્ગત સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા તરીકે રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખની સ્થાપના કરવી અને એને ટેકો આપવો
- રાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટમાં નીચેના કાર્યક્રમોનો વિચાર કરવામાં આવ્યો છે, જેનાથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાભ થશેઃ
- વિદ્યાર્થીઓની શિક્ષણમાં જાળવણી, પ્રગતિ અને અભ્યાસ પૂર્ણ કરવાના દર પર મજબૂત અને અધિકૃત આંકડા મેળવવા શિક્ષણ મંત્રાલયની રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાને મજબૂત કરવી
- એસઆઇજી (સ્ટેટ ઇન્સેન્ટિવ ગ્રાન્ટ્સ – રાજ્ય પ્રોત્સાહન અનુદાન) દ્વારા રાજ્યોને વહીવટી સુધારાના કાર્યોને આગળ વધારવા પ્રોત્સાહન આપીને રાજ્યોના પીજીઆઈ સ્કોર સુધારવા શિક્ષણ મંત્રાલયને સાથસહકાર આપવો
- શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિઓને મજબૂત કરવા સાથસહકાર આપવો
- રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર (પરખ) સ્થાપિત કરવા શિક્ષણ મંત્રાલયના પ્રયાસોને ટેકો આપવો. આ પ્રકારનાં કેન્દ્રની કામગીરીઓમાં કામગીરી માટે પસંદ થયેલા રાજ્યોના અનુભવોનો ઉપયોગ કરવામાં આવશે, જે માટે ઓનલાઇન પોર્ટલ્સ (ઉદાહરણ તરીકે શગુન અને દિક્ષા), સોશિયલ અને અન્ય મીડિયા જોડાણ, ટેકનિકલ વર્કશોપ્સ, રાજ્યની મુલાકાતો અને સમારંભો દ્વારા અન્ય રાજ્યોના અનુભવો મેળવવામાં આવશે અને એકબીજા સાથે વહેંચવામાં આવશે.
- રાજ્યસ્તરે પ્રોજેક્ટમાં નીચેની બાબતોને આવરી લેવામાં આવશે:
- પ્રારંભિક અને મૂળભૂત શિક્ષણને વધારે મજબૂત કરીને બાળકોનો પાયો મજબૂત કરવો
- શિક્ષણનું મૂલ્યાંકન કરવાની વ્યવસ્થામાં સુધારો કરવો
- શિક્ષણનો વિકાસ અને શાળામાં નેતૃત્વનો વિકાસ કરીને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ માટે ઉચિત વાતાવરણ ઊભું કરવું તથા તેમને શિક્ષણમાં રસ લેતા કરવા સૂચનો અને ઉપાયોને વધારે અસરકારક બનાવવા
- શૈક્ષણિક સેવાઓ વધારે સારી રીતે પૂરી પાડવા માટે વહીવટમાં સુધારો કરવો અને વિકેન્દ્રીકૃત વ્યવસ્થાપન કરવું
- મુખ્ય પ્રવાહ વિશે જાણકારી આપી, કારકિર્દી માર્ગદર્શન અને સલાહ આપી, ઇન્ટર્નશિપ અને શાળાની બહારનાં બાળકોને આવરી લઈને શાળામાં રોજગારલક્ષી શિક્ષણને મજબૂત કરવું