ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મેળવશે. આ માટે લોક સભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી દ્વારા રજૂ કરાયું હતું અને લોક સભામાં પસાર પણ કરાયું છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે,ગઈકાલે લોકસભામાં ગૃહરાજય મંત્રી શ્રી રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ – 2020 પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન શ્રી રેડ્ડીએ દેશના અનેક રાજ્યોના પોલીસ બળો તથા અર્ધલશ્કરી સુરક્ષા બળો માટે એક સમર્પિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન હોવાના મહત્વ અંગે વિસ્તૃત માહિતી લોક સભાના સભ્યોને પૂરી પાડી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ બિલના માધ્યમથી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરાઈ છે. એની સાથે જ RSUને ‘ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (રાષ્ટ્રીય મહત્વનું શૈક્ષણિક સંસ્થાન)નો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી એક શૈક્ષણિક સંસ્થાને આ પ્રકારે રાષ્ટ્રીય દરજ્જો અપાઈ રહ્યો છે ત્યારે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સીટી ઉત્તરોત્તર પ્રગતિ કરીને દેશનું નામ રોશન કરશે એવો દ્રઢ વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યકત કર્યો છે.લોકસભા દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલના પસાર કર્યાની સાથે દેશના પોલીસ અને સુરક્ષા બળો માટે ટ્રેનિંગ – રિસર્ચ – એકસ્ટેન્શન – એજ્યુકેશન (Tree)’ નું બહોળું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ભારતે આગેકૂચ કરી છે.