સુરત શહેરના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડોકટર અશોક કાપ્સેનું કોરોનાને કારણે નિધન. કોરોના સંક્રમણની શરુઆત થઈ ત્યારે સુરતીઓને કોરોનાથી બચવા માટે અને એની ગંભીરતા જણાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલાં સંવેદનશીલ ડોકટર અશોક કાપ્સે પોતે કોરોના સંક્ર્મણનો ભોગ બનતાં હોસ્પિટલાઈઝ હતાં. તેઓ 71 વર્ષના હતાં. કોરોના સંદર્ભે સુરતીઓને સતત જાગૃત કરવા માટે ખડેપગે રહેનાર ડો કાપ્સેનું ડેંગ્યુની સારવારમાં નોખું નામ હતું. તેઓની ડેંગ્યુની સારવારમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન સુરતીઓ માટૅ આશીર્વાદ સમાન હતું. સોશ્યલ મીડીયાના માધ્યમથી તેઓ સુરતીઓને સતત જે તે બીમારીઓ બાબતે જાગૃત કરતાં.
થોડાં સમય પહેલાં કોઈ ટીખળખોરે એમના મરણના સમાચાર વ્હેતાં કરતાં આખું સુરત હિબકે ચઢ્યું હતું પરંતુ સત્વરે સુરતી ખબરીલાલ અને અન્ય માધ્યમોથી ફેલાયેલી અફવાનું ખંડન કરતાં સુરતીઓએ રાહત અનુભવી હતી. જો કે આજ રોજ ડો. અશોક કાપ્સે આ ફાની દુનિયા છોડીને જતાં રહ્યા છે. પોતાની કર્તવ્યનિષ્ઠા અને જ્ઞાન અર્જીત કરતાં રહેવાની એમની ઘગશને કારણે તેઓ સુરતીઓમાં લોકપ્રિય હતાં.