૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦માં તમામ મતદારો મતદાન કરી શકે તે હેતુથી ઇન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડે. ડાયરેક્ટર દ્વારા કારખાના ધારા ૧૯૪૮ હેઠળ નોંધાયેલા દરેક કારખાનાદાર અને ધ બિલ્ડીંગ એન્ડ અધર કન્સટ્રક્શન વર્કસ હેઠળ નોંધાયેલા માલિકોને આગામી ૩જી નવેમ્બરના દિવસે કામદારોને સવેતન રજા આપવા અંગે આદેશ આપવામાં આવ્યો છે. મોરબી-માળિયા વિધાનસભા મત વિસ્તારમાં આગામી ૦૩જી નવેમ્બરના રોજ ૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન યોજાનાર છે તેથી કારખાનાના અને બાંધકામ સાઇટના શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.
રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક્ક ન ધરાવતા હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવા પાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.
જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય સાથે સંકળાયેલ હોય ઉત્પાદન પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગી/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે ફરજના સમયમાંથી મતદાનના સમય ગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનાદાર કે માલિક કે નોકરીદાતા આ જોગવાઇ થી વિરુદ્ધનું વર્તન કરશે તો તે કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ઇન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડે. ડાયરેક્ટરશ્રી બી.વી.ભારથીની યાદીમાં જણાવાયું છે.