આ યોજનામાં ગાંધીનગરના નાગરિકોની પ્રતિદિન પાણીની જરૂરિયાત 150 લીટર ગણવામાં આવી છે જે પર્યાપ્ત છે. જેમ જેમ વસ્તી વધતી જશે તેમ તેમ પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનું પૂરતું આયોજન આ યોજનામાં કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરનો વિકાસ એ આપણું સામૂહિક સ્વપ્ન છે. ગાંધીનગરને આદર્શ મતક્ષેત્ર બનાવવાના સઘળા પ્રયત્નો કરવાની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં એક સમય એવો હતો કે, આપણા ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો છે.પીવાનું પાણી, ખેતીવાડી માટે સિંચાઈનું પાણી કે અન્ય વપરાશ માટેના પાણીના વિવેકપૂર્ણ કરકસરયુક્ત ઉપયોગ અને આદર્શ જળ વ્યવસ્થાપનના પરિણામે ગુજરાત જળ સંચયમાં આદર્શ સાબિત થયું છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આ યોજના સ્માર્ટ સિટીની દિશામાં એક મહત્વનું કદમ છે. દેશભરમાં કેટલાક શહેરી વિસ્તારોમાં અમુક ભાગોમાં ૨૪×૭ પીવાના પાણીની યોજનાનો અમલ થયો છે, પરંતુ આખા શહેર માટેની આવી યોજનાનો અમલ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યો છે.ગાંધીનગર મહાનગર સમગ્ર દેશમાં પીવાના પાણીનો ચોવીસે કલાક સપ્લાય આપનારું પહેલું અને એકમાત્ર શહેર બનવાનું છે. આ માટે તેમણે ગાંધીનગરના સૌ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કહ્યું કે પાણીના કરકસરયુક્ત અને વિવેકપૂર્ણ ઉપયોગને પ્રેરિત કરવા ગાંધીનગરમાં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે.ગાંધીનગર શહેરને હાલ દૈનિક ૬.૫ કરોડ લીટર પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે હવે તેને વધારીને દૈનિક ૧૬ કરોડ લિટર પાણી પૂરું પાડી શકાય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે.