લોન મોરાટોરિયમ અંગે ભારત સરકારે પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યો છે, જેમાં સરકારે સંકેત આપ્યા છે કે મોરાટોરિયમ બે વર્ષ માટૅ લંબાવી શકાય છે. પણ તે કેટલાક સેકટર્સ માટૅ જ મર્યાદિત હશે. સરકારે એ સેક્ટર્સની યાદી સોંપી છે જેને રાહત આપી શકાય.
ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં સરકાર પક્ષે હાજર રહી માહિતી આપી હતી કે મોરાટોરિયમની સગવડ 2 વર્ષ માટે લંબાવી શકાય છે. એ માટે અમે સૌથી વધુ સમસ્યાગ્રસ્ત સેક્ટર્સની ઓળખ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે બુધવારે આ સંદર્ભે તમામ પક્ષકારોને સાંભળશે અને નિર્ણય લેશે. ગત સુનવણી વખતે સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકાર સામે લાલ આંખ કરીને પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું અને સાથે કહ્યું હતું કે કેંદ્ર સરકાર RBI પાછળ સંતાય ન શકે. સુપ્રીમ કોર્ટમાં મોરાટોરિયમ સમય દરમ્યાન વ્યાજ વસૂલવાના અને વ્યાજ પર વ્યાજ વસૂલવાના બેંકોના નિર્ણય સામે ઢગલાબંધ અરજીઓ આવી છે.
કોરોના સંક્રમણની આર્થિક અસરને ધ્યાનમાં રાખીને RBIએ માર્ચમાં ત્રણ મહિના માટે મોરેટોરિયમની સુવિધા આપી હતી. આ સુવિધા 1માર્ચ થી 31 મે સુધી ત્રણ મહિના માટે લાગૂ કરવામા આવી હતી. ત્યારબાદ RBIએ તેને ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી કરી નાખી હતી. આ રીતે કુલ છ મહિના સુધી મોરેટોરિયમની સુવિધા આપવામા આવી છે. 31 ઓગસ્ટે આ સુવિધા સમાપ્ત થઇ ગઇ છે.