દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં ગમે તેવી મોટી આફત આવી પડી ત્યારે દાનવીર ભામાશાઓએ મદદનો હાથ લંબાવી અસરગ્રસ્તોને બેઠાં કરવામાં અગ્રેસર રહ્યાં છે. પુર કે પ્લેગ જેવી કુદરતી આફતો સામે બાથ ભીડીને સૂરત ફરી પાછુ બેઠું થઈ તેજ રફતારથી દોડતુ થયું છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ જ્યારે સૂરતમાં પગ જમાવ્યો છે, ત્યારે કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહ્યા છે.
સુરતને કર્મભુમિ બનાવીને રહેતા રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી છે. હાલ કોરોનાની કોઈ દવા ન હોવાથી અન્ય ઉપાયો દ્વારા કોરોનાના દર્દીઓને સ્વસ્થ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્લાઝમા થેરાપી અસરકારક સાબિત થઈ છે. સૂરતની નામાંકિત યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કરીને સમગ્ર દેશને નવી રાહ ચીંધ્યો છે. માણસાઈના દીવા સમાન, હીરા પર પાસા પાડનારા આ રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરી દાનનું હીર ઝળકાવી ‘ખરા હીરા’ બન્યા છે.