રાજ્યમાં ગુનાખોરી અને નિર્દોષ નાગરિકો સાથે થઈ રહેલા શોષણની રોકથામના અભિગમ અને ગુંડા વિરોધી કડક કાયદા માટે આજે અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા (પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટિવિટી-PASA) બાબતનું સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર. ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. સાથે જ આ માટે મુખ્યમંત્રીશ્રી અને રાજયના ગૃહમંત્રીશ્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ગૃહ રાજયમંત્રી જાડેજાએ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત સુધારા વિધેયક રજૂ કરતા કહ્યુ કે, ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને બીજા રાજ્યો અનુકરણ કરે એ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉદ્દભવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે જેથી ગુજરાત સરકારના વિકાસ પ્રયત્નોમાં ક્યારેય અવરોધ ઉભો ન થાય તે માટે હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરીકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂર હતી એટલે આ વિધેયક લાવવામા આવ્યુ છે.