ભારતીય વાયુસેનાના કાફલામાં ગુરૂવારે શામેલ થશે રાફેલ વિમાન..વાયુસેનાના 17માં સ્કવોડ્રન, ‘ગોલ્ડન એરો’નું ભાગ હશે આ વિમાન, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ફ્રાંસના સંરક્ષણમંત્રી કાર્યક્રમના મુખ્ય મહેમાન.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહ 27 જુલાઇના રોજ ફ્રાન્સથી ભારત પહોંચેલા પાંચ રાફેલ લડાયક વિમાનોને આજે વિધિવત રીતે વાયુસેનામાં સામેલ કરશે. કાર્યક્રમની શરૂઆત રાફેલના પૂજનથી થશે. તે પછી રાફેલ વિમાનના હવાઇ કરતબોનું નિદર્શન થશે. અને સ્વદેશી હળવા લડાયક વિમાન સાથે પણ કરતબ નિદર્શન થશે. ત્યારબાદ રાફેલ વિમાન રનવે પર ઉતરીને મુખ્ય સમારંભ સ્થળે પહોંચશે. વોટર કેનનથી વિમાનનું સ્વાગત કરાશે.
સમારંભના અંતમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ફ્રાન્સના સંરક્ષણમંત્રી અને વાયુસેનાના વડા લોકોને સંબોધન કરશે. રાફેલ તેની ખાસ ખૂબીઓ અને ક્ષમતા માટે જાણીતું છે. પાંચ રાફેલ વિમાનને 17મી સ્કવોડ્રન ગોલ્ડન એરોમાં સામેલ કરવામાં આવશે. રાફેલની બીજી સ્ક્વોડ્રન પશ્ચિમ બંગાળમાં રચાશે.