રિલાયંસ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ થોભવાનું નામ નથી લઈ રહી. હવે મુંબઈની નેશનલ લો ટ્રિબ્યુનલે સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયાના દાવા પર રિલાયંસ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી સામે દેવાળિયા થવા અંગેનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની 1,200 કરોડની લોન ભરપાઈ ન કરી શકવાના કારણે તેમની સામે આ કાર્યવાહી કરાવાનો આદેશ અપાયો છે.
સ્ટેટ બેંકે વર્ષ 2016માં અનિલ અંબાણીની નેજા હેઠળની કંપનીઓ રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને લોન આપી હતી.અનિલ અંબાણીએ આ લોન માટે 1,200 કરોડની વ્યક્તિગત ગેરંટી આપી હતી. હવે બંને કંપનીઓ બંધ થઈ ગઈ છે. તેના કારણે SBIએ મુંબઈ NCLTમાં અપીલ કરી હતી. બેંકે માંગ કરી હતી કે નાદારી કાયદા મુજબ આ રકમ અનિલ અંબાણી પાસેથી વસૂલ કરવાની છૂટ આપવી જોઈએ કારણ કે તેણે આ લોનની વ્યક્તિગત ગેરંટી આપી છે.