સુરત શહેર પોલીસ કમિશ્નરની સ્પષ્ટતા. સંદેશ એકદમ ક્લીયર છે. બધા લોકો માસ્ક પહેરશે તો દંડ કરવાની કોઈ જરુર નથી. પરંતુ પોલીસની સમજાવટ અને સમાજની વિવિધ સંસ્થાઓની જન જાગૃતિના પ્રયાસો પછી પણ જો કોઈ માસ્ક નહિ પહેરે તો એને દંડ થશે. નાગરિકોને માસ્ક પહેરવાની અપીલ.
સુરત કોર્પોરેશન અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ગઈકાલે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા પણ આડકતરી રીતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી માસ્ક નહીં પહેરનારાઓને દંડ નહીં કરવામાં આવે. એક પ્રકારે લોકોમાં એવો મેસેજ ગયો કે માસ્કના દંડથી મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે માસ્ક વગર ફરતા લોકોને દંડ નહીં પરંતુ પોલીસ વિભાગ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવશે. બંને નિવેદનોમાં સતત વિરોધાભાસ સામે આવવાના કારણે લોકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. ગઈકાલે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલું નિવેદન અને આજે પોલીસ કમિશનર અજયકુમાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ભારોભાર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.