મહારાષ્ટ્ર રાજયમાંથી કોવિડ-19 નાં કેસોનો વ્યાપ ગુજરાત રાજયમાં ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના પગલાંરૂપે એપિડેમિક ડીસીઝ એકટ , 1897 અન્વયે મળેલ સત્તાની રુએ નીચે મુજબના પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લાં 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તેનો રિપોર્ટ નેગેટિવ હોય તેઓને જ હવે પ્રવેશ મળવાપાત્ર થશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યકિતઓનું સ્ક્રીનિંગ ફરજીયાત પણે કરવાનું રહેશે. રાજ્ય સરકારે કરેલા આદેશ અનુસાર આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.
રાજ્યમાં કોરોનાના કેસ વધતા ST વિભાગે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે મહારાષ્ટ્રથી આવતી ST બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ થશે. મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં ત્રણ પોઇન્ટ નિર્જર, ઉછલ અને સોનગઢ પરથી પ્રવેશ થાય છે. આ ત્રણેય પોઇન્ટ પર કોરોના ટેસ્ટ શરુ કરાયા છે . STના તમામ મુસાફરોના ટેસ્ટ માટે બુથ ગોઠવાયા છે.