શું કોવિડ દર્દીઓ માટે ટોસિલીઝુમાબ ઈન્જેકશન જીવનરક્ષક છે?

કોવિડ-૧૯ મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન ગંભીર પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓને ‘ટોસિલીઝુબામ’ નામના ઈન્જેકશન આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસાર સિવિલ હોસ્પિટલની આરોગ્ય કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જે સાઇટોકીન સ્ટોર્મ અટકાવી દર્દીને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. આઇસીએમઆરની માર્ગદર્શિકા પ્રમાણે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એમ ત્રણ પ્રકારના દર્દીઓની અલગ અલગ દવાઓથી સારવાર કરવામાં આવે છે. ટોસિલિઝુમાબ અંગે ઘણાં મતમતાંતર પ્રવર્તે છે. જેથી કોરોના દર્દીઓની સારવાર અને કોવિડ-૧૯ ના તમામ પાસાઓથી પરિચિત હોય એવા તજજ્ઞ પાસેથી માન્યતા અને હકિકત અંગે તાર્કિક જ્ઞાન મેળવવું જરૂરી છે. 
                  ‘ટોસિલીઝુબામ’ની ઉપયોગિતા સંદર્ભે સ્મીમેર હોસ્પિટલના નોડલ ઓફિસર અને કોવિડ-૧૯ની બાબતોના નિષ્ણાત ડો.નૈમેષ શાહ મહત્વપૂર્ણ જાણકારી આપતાં જણાવે છે કે, ટોસિલીઝુમાબ એક રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા છે. જે સામાન્ય રીતે સંધિવા (Rheumatoid Arthritis) જેવા રોગોની સારવાર માટે વર્ષ ૨૦૧૩થી વપરાય છે. કોરોનામાં પણ તે કામ કરે છે. તે IL-6 રિસેપ્ટર સાથે મજબુત રીતે ચોંટી જતા એન્ટીબોડી છે. તેનો ઉપયોગ કોવિડ-૧૯ના અમુક દર્દીઓમાં રોગપ્રતિકારકશક્તિ અનિયંત્રિત થવાને લીધે ઉદભવતાં સાયટોકીન સ્ટોર્મ નામની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા થાય છે. ડો. નૈમેષ શાહ સાથે થયેલી પ્રશ્નોત્તરીમાં તેમણે ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી:-


કયા પ્રકારના દર્દીઓને ટોસિલીઝુમાબથી ફાયદો થઈ શકે ? 
ડો.શાહ: ટોસિલીઝુમાબ જે દર્દીઓને લેબોરેટરી રિપોર્ટ દ્વારા સાયટોકીન સ્ટોર્મ વિશે પુષ્ટિ મળી હોય તેવા જ દર્દીઓમાં આ દવા ફાયદો પહોંચાડી શકે છે. સાયટોકીન સ્ટોર્મ એ મુખ્યત્વે ફેફસાં સાથે આંતરિક અવયવોની અનિયંત્રિત રોગપ્રતિકારક શક્તિની સ્થિતિ છે, જે કોવિડ-૧૯ ના ૫% કરતા પણ ઓછા કેસમાં જોવા મળે છે. 

શું કોવિડ-૧૯ માં ટોસિલિઝુમાબના ઉપયોગને FDA દ્વારા મંજુરી મળી છે? 
ડો.શાહ: જે કોવિડ-૧૯ ના દર્દીઓમાં સાયટોકીન સ્ટોર્મ થાય છે તેવા જ દર્દીઓમાં ટોસિલીઝુમાબના ઉપયોગને FDA દ્વારા મંજુરી મળી છે. 

શું ટોસિલીઝુમાબ કોવિડ-૧૯ ના બધા જ દર્દીઓને આપી શકાય,પછી ભલે ને દર્દીને સાયટોકીન સ્ટોર્મ ના પણ હોય?  
ડો.શાહ: ટોસિલિઝુમાબના કારણે કોવિડ દર્દીઓના શરીરમાં કોરોના વાયરસની સંખ્યામાં સતત વધારો થતા બીજા લોકોને ચેપ લાગવાનો ભય પણ વધી જાય છે. તદુપરાંત બીજા પ્રકારના ગંભીર ચેપ જેવા કે બેક્ટેરિયા, ફૂગ, ટી.બી. વગેરે લાગવાનું જોખમ પણ ઘણું વધી જાય છે. આથી જો સાયટોકીન સ્ટોર્મની પુષ્ટિ વગર અથવા તો જરૂરિયાત વગર આપવામાં આવે તો ફાયદા કરતા નુકસાન વધારે કરે છે. 

તમારા ડોક્ટર કોવિડ ૧૯ની સારવાર દરમ્યાન ક્યારે ટોસિલિઝુમાબ આપવાનો નિર્ણય લઈ શકે છે?

ડો.શાહ: કોવિડ-૧૯ ના મધ્યમથી ગંભીર પ્રકારના જે દર્દીઓમાં ઓક્સિજન, સ્ટીરોઈડ અને બીજી સહાયક સારવાર આપવા છતાં લોહીમાં ઓક્સિજનની ઉણપ રહેતી હોય, લેબોરેટરીના રિપોર્ટમાં સી.આર.પી. સામાન્ય કરતા ૧૦ ગણું વધારે હોય અથવા છેલ્લા ૨૪ કલાક માં બેગણું વધી ગયું હોય, ડી ડાઈમરનું પ્રમાણ ૨૫૦૦ ng/ml કરતા વધુ હોય અથવા ફેરીટીનનું પ્રમાણ ૫૦૦ ng/ml કરતા વધી ગયું હોય તેવા સંજોગોમાં જ ડોક્ટર ટોસિલુઝૂમાબ આપવાની સલાહ આપશે. 

ટોસિલીઝુમાબ આપવા છતાં પણ મારા દર્દીની હાલતમાં કેમ સુધારો થયો નથી? 
ડો.શાહ: કોવિડ દર્દીઓમાં અંગોના નુકસાન અને તકલીફને રોકવામાં ટોસિલિઝુમાબની ખૂબ મર્યાદિત ભૂમિકા છે. તે પહેલાથી નુકસાન થયેલા ફેફસા પર અસર કરી શકતી નથી. ટોસિલીઝુમાબ સાથે સારવાર કર્યા પછી પણ સતત શ્વાસ લેવામાં તકલીફ પડે તો તેવા દર્દીમાં અન્ય તકલીફો જેવી કે,પલ્મોનરી ઇન્ટ્રાવસ્ક્યુલર કોગ્યુલોપેથી, કાર્ડિયાક ડિસફંક્શન્સ, બીજા બેક્ટેરીયાનો ચેપ વગેરે હોઈ શકે છે. આવા દર્દીઓની વધારે તપાસ જરૂરી હોવાથી તે મુજબ સારવાર કરવી જોઈએ. 

શું ટોસિલીઝુમાબ જીવનરક્ષક દવા છે? 
ડો.શાહ: હાલમાં ટોસિલીઝુમાબનો પ્રયોગાત્મક ઉપયોગ થાય છે. તેથી તેની અસરકારકતાના માપદંડ માટે વધુ સંશોધન જરૂરી છે. તાજા સંશોધન પ્રમાણે ટોસિલીઝુમાબ આપવાથી કોરોનાના મૃત્યુદરમાં કોઈ ફાયદો જણાયો નથી. 

જો એકવાર આ ઈન્જેકશન આપવા છતાં દર્દીની પરિસ્થિતિમાં ફરક ન પડે તો બીજીવાર ટોસિલીઝુમાબ ઈન્જેકશન આપવું જોઈએ? 
ડો.શાહ: મોટાભાગના નિષ્ણાતો ટોસિલીઝુમાબના બીજા ઈન્જેકશનની ભલામણ કરતા નથી. 

ટોસિલિઝુમાબ આપ્યા પછી દર્દીના લોહીના રિપોર્ટ માં IL-6 નું પ્રમાણ ખુબ વધારે આવ્યું છે, શું તે દર્દીની કથળતી સ્થિતિ તરફ ઈશારો કરે છે? 
ડો.શાહ: ના,ટોસિલિઝુમાબ આપ્યાપછી IL-6 નું ઉચ્ચ સ્તર એ એકદમ સામાન્ય બાબત છે. ટોસિલીઝુમાબ દ્વારા અસરકારક રીતે IL-6 રિસેપ્ટરના અવરોધને કારણે IL-6 ના સ્તરમાં આ વધારો થાય છે. જેથી આ દર્દીની કથળતી સ્થિતિ સૂચવતા નથી. 

શું આપણે ટોસિલીઝુમાબનો ઉપયોગથી કોરોનાથી મુક્તિ મળે છે? 
ડો.શાહ: ના, ટોસિલીઝુમાબ કોરોનાની સંપૂર્ણ દવા નથી. કારણ કે ખૂબ જ ઓછા કોરોના દર્દીઓને સાયટોકીન સ્ટોર્મની સ્થિતિ ઉદભવે છે. તેમાંના મોટા ભાગના દર્દીઓ સ્ટેરોઇડના ટૂંકાગાળાના કોર્ષથી જ સારા થઈ જાય છે. જે તેની પ્રથમ તબક્કાની સારવાર છે. બહુ ઓછા દર્દીઓ કે જેમને સ્ટેરોઇડ્સનો અસર ન થાય તેમને જ ટોસિલીઝુમાબની જરૂર પડી શકે. 

શું ટોસિલીઝુમાબની કોઈ ગંભીર આડઅસર છે? 
ડો.શાહ: કેટલાક દર્દીઓમાં એનાફિલેક્સિસ, લીવર પર ગંભીર અસર, લ્યુકોપેનિઆ અને ન્યુટ્રોપેનિઆ થાય છે. ગંભીર બેક્ટેરિયાના ચેપ, વાયરલ ચેપ અને ટીબીનું પુન: સક્રિય થવાનું જોખમ પણ છે. 

ટોસિલીઝુમાબ ઈન્જેકશન કેવા પ્રકારના દર્દીઓમાં બિલકુલ પણ ના આપવું જોઈએ? 
ડો.શાહ: કોઈ પણ સક્રિય ચેપ (બેક્ટેરિયલ, ટીબી, અન્ય વાયરલ), લીવરના ગંભીર રોગ કે જેમાં એસજીપીટી/એસજીઓટી તેમની સામાન્ય કરતા પાંચ ગણા વધુ હોય, ત્રાકકણોની સંખ્યા  ૫૦,૦૦૦ /µL કરતા ઓછી હોય,  સફેદ કણોની સંખ્યા ૧૦૦૦/µL કરતા ઓછી હોય. ગર્ભાવસ્થામાં અને સ્તનપાન કરાવતા દર્દીઓને ટોસિલિઝુમાબ આપવું જોઈએ નહીં. 

મારા ડોકટરે ટોસિલીઝુમાબને બદલે ઇટોલિઝુમાબ શા માટે સૂચવ્યું? 
ડો.શાહ: ઈટોલિઝુમાબ CD-૬ ને બ્લોક કરે છે, જ્યારે ટોસિલિઝુમાબ IL-6 રિસેપ્ટરને બ્લોક કરે છે. આ બંને દવાઓ કોરોનાના ઉપચાર માટે તપાસ હેઠળ છે. આ બંને દવાઓમાં ઇમ્યુનોસ પ્રેઝન્ટ ગુણધર્મો છે, તેથી બંને સાયટોકીન સ્ટોર્મની સારવારમાં સમાન અસરકારક હોવાનું માનવામાં આવે છે, અને તેને તાજેતરમાં ડીસીજીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *