મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે રૂ.૨૬૫ કરોડની ફાળવણી કરી છે. ડિજીટલ ચેક વિતરણ સમારોહમાં સુરત કલેકટર કચેરી ખાતે ઈ-માધ્યમથી જોડાયેલા રાજ્યના વન,આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી ડો. જગદીશ પટેલને રૂ. રૂ.૨૬૫ કરોડનો ચેક અર્પણ કરાયો હતો. જ્યારે સુરત જિલ્લાની ૦૪ નગરપાલિકાઓને વિકાસકામોના ચેક એનાયત કરાયા હતા. જેમાં તરસાડી નગરપાલિકાને રૂ.૧.૧૨ કરોડ, બારડોલીને રૂ.૧.૫૦ કરોડ, કડોદરાને રૂ.૧.૧૨ કરોડ, માંડવીને રૂ.૫૦ લાખના ચેકનું વિતરણ મંત્રીશ્રી દ્વારા કરાયું હતું. વર્તમાન સરકાર ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આ ભેટ અતિ વિકાસ અને જનસુખાકારીને વેગ આપશે.