સમાજના નબળા વર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા માટે અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત ૧૫ શાળાઓ અને સુરત જિલ્લા પંચાયત સંચાલિત ગ્રામ્ય વિસ્તારની ૧૭ શાળાઓના કુલ ૩૫૪ વિદ્યાર્થીઓને નેશનલ મિન્સ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહિત અને તાલીમબદ્ધ કરાયા હતા. જે માટે પ્રશ્ન બેન્ક સાથે અન્ય શૈક્ષણિક સાહિત્ય આ વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવ્યું હતું.
ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી નેશનલ મિન્સ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા ઉજળો દેખાવ કરતાં આ ૩૫૪ વિદ્યાર્થીઓ પૈકી ૭૦ વિદ્યાર્થીઓ ઉંચા મેરીટ સાથે ઉત્તીર્ણ થયા છે. મેરીટમાં આવનાર દરેક વિદ્યાર્થીને ચાર વર્ષ સુધી સરકાર દ્વારા રૂ. ૧૨ હજારની આર્થિક મદદ કરવામાં આવશે ને સીધા લાભાર્થીના ખાતામાં જમા થશે. ઉતીર્ણ થનાર ૭૦ વિદ્યાર્થીઓને ચાર વર્ષમાં કુલ રૂ.૩૩ લાખ ૬૦ હજાર ની સ્કોલરશીપ મળશે.
નોંધનીય છે કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે વર્ષથી NMMS તથા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે કાંઠા વિસ્તાર હજીરામાં કોચિંગ ક્લાસ સાથે જરૂરી શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડવામાં આવે છે અને કોચિંગ ક્લાસમાં નિષ્ણાંત શિક્ષકો દ્વારા બાળકોને આયોજનબદ્ધ તૈયારી કરાવવામાં આવે છે. ઉપરોક્ત પ્રયાસોના ફળસ્વરૂપે આ વર્ષે મોરા ગામની એક વિદ્યાર્થીનીને જવાહર નવોદય શાળામાં એડમિશન પણ મળ્યું છે.