ભારત સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ખૂબ જ જરૂરી કરી દીધું છે. નોંધનીય છે કે, સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક વખત સમય મર્યાદા વધારી છે. હાલમાં 31 માર્ચ એટલે કે, આજે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાનો અંતિમ દિવસ છે. જો આ તારીખ સુધીમાં તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો 1 એપ્રિલથી તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. ગઈ તા.1 લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ફાયનાન્સ બીલ રજુ કર્યું ત્યારે આધારકાર્ડ તથા પાનકાર્ડની સાથે જોડવાના મુદ્દે કોઈ દંડનીય જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. પરંતુ બજેટ સત્ર દરમિયાન સંસદમાં ફાયનાન્સ બીલ-2021 ની ચર્ચા વખતે જો કરદાતા દ્વારા 31 મી માર્ચ પહેલાં આધારને પાનકાર્ડ સાથે લીંક કરવામાં નહીં આવે તો 1000 રૂપિયાનાં દંડની કલમ -234-એચ ની ગર્ભિત ચીમકી આપવામાં આવી છે. કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડે પણ જાહેરાત કરી છે કે તમામ ભારતીય નાગરિકોને નક્કી સમય પહેલા પોતાનું પાન અને આધાર કાર્ડ લિંક કરાવવાના રહેશે. આમ ન કરવા પર રોકણ લેવડદેવડ માટે તમે તમારા પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. સાથે જ બેંક ખાતું ખોલાવવા અથવા સરકારી પેંશન, વિદ્યાર્થી શિષ્યવૃત્તિ, એલપીજી સબસિડી વગેરેનો લાભ પણ નહીં મળે.