રાજ્યના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં બેસીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે ખાસ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોચિંગના સંદર્ભમાં વિધાન ગૃહમાં પૂછાયેલા પ્રશ્નમાં સહભાગી થતા કહ્યું કે, આવી રાષ્ટ્રીયસ્તરની પરીક્ષાઓમાં રાજ્યના વિદ્યાર્થીઓ બેસી શકે અને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે સૌ પ્રથમવાર આ વર્ષના અંદાજપત્રમાં જોગવાઈ કરીને આવા કોચિંગ ક્લાસ શરૂ કરવાનું આયોજન કરાયું છે. આવા વર્ગોમાં તાલીમ મેળવીને ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના ક્વૉટામાં પ્રવેશ મેળવી શકશે. આવા કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે અને ત્યારબાદ તેના આધારે તેઓ આવી પરીક્ષામાં બેસશે અને ગુજરાતનો ક્વૉટા જળવાય એવા પ્રયાસો રાજ્ય સરકાર કરશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.