આહિર સમાજના પ્રમુખ અને નિવૃત્ત ડી.વાય.એસ.પી.શ્રી રણછોડભાઈ હડિયાએ તેમના ધર્મપત્ની ભાનુબેન સાથે રસીકરણ કરાવી સુરક્ષિત રસીકરણનો સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સિનીયર સિટીઝન્સ-વડીલો કોઈ પણ ડર રાખ્યા વિના કોરોના વેકસીનેશન કરાવે તે જરૂરી છે. પરિવારના ૪૫ થી ૬૦ વર્ષ વચ્ચેના કો-મોર્બિડ સિટીઝન્સને તથા ૬૦ વર્ષથી વધુના વડીલોને રસીકરણ કરાવવાની અપીલ કરી હતી. કોરોનાને નાથવા માટે આપણી પાસે સ્વદેશી રસી આવી છે ત્યારે તેને મુકાવીને આપણા પરિવારજનો સહિત સમગ્ર શહેરને કોરોનામુકત કરીએ તેવી અપીલ તેમણે કરી હતી.
શ્રી હડિયાએ વધુમાં જણાવ્યું કે, મેં મારા ધર્મપત્ની સાથે પરવટગામ ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી કોમ્યુનિટી હોલ ખાતે કોરોનાની વેકસીન મુકાવી છે મને કોઈ આડઅસર થઈ નથી. જેથી કોઈ પણ પ્રકારના સંકોચ વિના રસી લેવા તેમણે અપીલ કરી હતી. સૌ સિનીયર સિટીઝનો, દિવ્યાંગોને કોઈપણ જાતના ભ્રમ, સંકોચ રાખ્યા વગર અફવાઓથી દુર રહી વેકસીન લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.